Breaking

જાણો ગીરના સિંહોની વસતિનો કેટલો વધારો થયો, 7 જિલ્લા સુધી પહોંચી ડણક, ચોટીલા સુધી વિસ્તાર કેમ વધાર્યો…

By

December 14, 2019

સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 18મી બેઠક મળી તેમાં 2020માં સિંહ વસ્તી ગણતરીમાં આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક વસ્તી ગણતરી વન વિભાગ કરશે. રાજ્‍યમાં સિંહની વસ્‍તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. સિંહોની છેલ્લી વસ્‍તી ગણતરી મે-2015માં કરવામાં આવી હતી. સિંહની વસતી વધે છે તેમ ખેડૂતોની પરેશાની વધે છે. તેમના પશુઓનો શિકાર કરે છે. રોજ 400 પશુનું મારણ સિંહ જંગલ બહાર અને જંગલ અંદર કરે છે. ખેડૂતોએ સતત ભય હેઠળ જીવવું પડે છે. વાઇલ્ડ લાઇફ ટુરિઝમમાં સિંહ સાથે રિંછ અભ્યારણ્યનો પણ વિકાસ કરાશે. 2020માં સિંહોની વસતી ગણતરી ડિઝીટલ ફોટો એનાલીસીસ તથા આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિકથી હાથ ધરવામાં આવશે. સિંહોની છેલ્લી વસ્‍તી ગણતરી મે-2015માં થઈ તેમાં 109 સિંહ, 201 સિંહણ, 140 સિંહબાળ અને 73 પાઠડા સહિત કુલ 523 સિંહની વસ્‍તી હતી.

1880માં કર્નલ વોટસને ગણતરી કરાવી હતી ત્યારે માત્ર 12 સિંહનો જ ગીરમાં વસવાટ હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત સરકારે પ્રથમવાર 1968માં ગણતરી કરી ત્યારે 177 સિંહો હતા. 1910માં 411, 1915માં 523 હતા. એ પછી ગીરના સિંહોના સંવર્ધન અને રક્ષણ માટેના પગલાં ભરવામાં આવ્યા જેના પરિણામે દેશમાં ગીરના સિંહોની વસતિમાં ઉતરોતર વધારો થતો ગયો છે. 1-6-2017થી 31-5-2019 સુધીમાં છેલ્લા બે વર્ષમાં 52 સિંહ, 74 સિંહણ, 90 સિંહબાળ અને 6 વ.ઓ. એમ કુલ 222 સિંહોના મૃત્‍યુ થયા હતા. 2015માં ગુજરાતમાં હાથ ધરાયેલી વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા 523 થઈ હતી. આ અગાઉ 2010માં થયેલી વસ્તીગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા 411 હતી. 2010ની 411ની સરખામણીએ 2015માં સિંહોની સંખ્યામાં 112 એટલે કે 27 ટકાનો વધારો થયો હતો. 2015માં જુનાગઢ જિલ્લામાં 268 સિંહ, ગીર સોમનાથ જિલ્લામાં 44 સિંહ, અમરેલી જિલ્લામાં 174 સિંહ અને ભાવનગર જિલ્લામાં 37 સિંહ નોંધાયા હતા. દર પાંચ વર્ષે સિંહની વસ્તીગણતરી થતી હોય છે ત્યારે હવે 2020માં ગુજરાતમાં સિંહોની વસ્તીગણતરી હાથ ધરાશે. મોનીટરીંગ કરવા 70 રેડિયો કોલર જર્મનીથી મંગાવી લગાવાયા છે. 2010ની તુલનાએ 27 ટકા વૃદ્ધિ થઈ હતી. જેમાં 109 પુખ્‍ત સિંહ, 201 સિંહણો અને 213 બાળ સિંહ મળી કુલ 523 સંખ્‍યા પહોંચી છે.

સિંહોના વિસ્‍તાર ગીર અભ્‍યારણ તથા ગીર નેશનલ પાર્કથી વધીને સૌરાષ્‍ટ્ર 9થી 10 જિલ્‍લાઓ, બૃહદ ગીરમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા પોરબંદર જિલ્‍લાઓનો સમાવેશ થાય છે. ગીરના જંગલમાં સિંહની ક્ષમતા 250 જેટલી છે. તેની સામે અઢી ગણાં સિંહો થઈ ગયા છે. 1965માં ગીર અભયારણ્યનો 1153 કિ.મી.નો વિસ્તાર, 1975માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો 258 ચોરસ કી.મી. જાહેર થયો હતો. ગીરના જંગલનું અભયારણ્ય હાલ 1412 ચો.કી.મી. વિસ્તાર ધરાવે છે, જ્યારે જંગલ વિસ્તાર તો 22,000 ચો.કિ.મી.નો છે. સિંહની વસતી વધતાં જંગલ બહાર લોકોની વચ્ચે આવવા લાગ્યા હતા. 2004માં મિતીયાળા અને 2008માં ગિરનાર અભયારણ્ય જાહેર કર્યું હતું. હાલ સિંહની વસ્તી 600 છે.

2015માં 523 સિંહો હતા, જે આ વખતે બે ગણા થઈ જવાની શક્યતા છે. સિંહોની ગણતરીનું કામ મે 2020માં હાથ ધરાશે. સિંહોની સંખ્યા 1100થી 1200 હોવાની પૂરી શક્યતા દર્શાવવામાં આવે છે. વન વિભાગના બીટ ગાર્ડ દ્વારા નિયમિત રીતે સંખ્યા ગણવામાં આવે છે. સાત જિલ્લામાં જોવા મળેલા સિંહોના પગલાં પરથી આ અંદાજ વ્યક્ત કરાયો છે. સુરેન્દ્રનગરના ચોટિલાથી 20 કિમી દૂર દેડુકી ગામમાં પણ બે સિંહ જોવા મળ્યા હતા. માઈક્રો-ચિપ્સ લગાવવામાં આવી હોય તેવા સિંહોની સંખ્યા વધીને 500એ પહોંચી ગઈ છે. તેમની વસ્તી વધી હોવાનો મજબૂત પુરાવો છે. બીજા 150 જેટલા 3થી 13 વર્ષના સિંહો પકડાયા નથી. 3 વર્ષ કરતા નાના અને 13 વર્ષથી ઉપરના 400 જેટલા સિંહોને ઉમેરીએ તો આંકડો 1,000ને પાર કરે છે. લોકોમાં ભય અને ગુજરાત બહાર લઈ જવાનો ભય હોવાથી તથા સમુહોના દબાણથી બચવા સિંહોની સાચી સંખ્યા જાહેર થતી નથી.