હરિયાણામાં 65, મહારાષ્ટ્રમાં 60 ટકા શાંતિપૂર્ણ મતદાન

મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભઆ ચૂંટણીઓમાં સોમવારે એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂરૂં થયું. મહારાષ્ટ્રની 288 બેઠકો પર 60 ટકા જ્યારે હરિયાણાની 90 બેઠકો પર વિક્રમી 65 ટકા મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં મતદાન એકંદરે 2014ની વિધાનસભા ચૂંટણી જેટલું રહ્યું હતું.

મહારાષ્ટ્રમાં આ વખતે વિધાનસભા ચૂંટણીમાં બધાનું ધ્યાન વરલી બેઠક પર છે, જ્યાં ઠાકરે પરિવારમાંથી સૌપ્રથમ વખત આદિત્ય ઠાકરે ચૂંટણી જંગમાં ઉતર્યા છે. મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ જ્યારે હરિયાણામાં નુહમાં સામાન્ય હિંસાના સમાચાર છે. આ સિવાય એકંદરે મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું.

મહારાષ્ટ્રની 14મી વિધાનસભાની ચૂંટણી માટે યોજાયેલા મતદાનમાં આજે રાજ્યભરમાં છૂટાછવાયા હિંસાના બનાવ સિવાય શાંતિથી મતદાન પ્રક્રિયા પાર પડી હતી. મતદાન આજે સવારે 7 વાગ્યેથી ધીમે ધીમે મતદાનની શરૂઆત થઈ હતી અને સાંજે 6 વાગ્યા સુધી આશરે 60.46 ટકા મતદાન થયું હતું.

કરવીર મતદાર ક્ષેત્રમાં 83.20 ટકા સૌથી વધુ મતદાન થયું હતું તેના પછી શાહુવાડીમાં 80.19 ટકા મતદાન થયું હતું. જ્યારે ઓછું મતદાન મુંબઈના કોલાબા મતદાર ક્ષેત્રમાં 40.20 ટકા થયું હતું. જ્યારે ઉલ્હાસનગરમાં 41.20 ટકા મતદાન થયું હોવાનું રાજ્યના ચૂંટણી કમિશનરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

જ્યારે સતારા લોકસભા મતદાર ક્ષેત્રમાં પેટાચૂંટણીમાં અંદાજે 64.25 ટકા મતદાન થયું હતું. આજે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર દેશભરની જનતા તથા નેતાઓની નજર છે. મહારાષ્ટ્રની ચૂંટણી પર કરોડો રૂપિયાનો સટ્ટો લાગ્યો છે. સટ્ટાબજારે મહારાષ્ટ્રમાં ફરી ભાજપ- શિવસેનાની મહાયુતિ આવે એવી શક્યતા દર્શાવી છે.

આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, શિવસેનાના યુવાસેનાના પ્રમુખ આદિત્ય ઠાકરે, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ, સહિત રાજ્યના અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ મતદાન મશીનમાં બંધ થયું છે. હવે મતગણતરી 24 ઓક્ટોબરના રોજ થશે.

હરિયાણામાં સવારના સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજના છ વાગ્યા સુધી ચાલ્યું હતું. નુહમાં નાની નાની ઘટનાઓ સિવાય મોટાભાગે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું.દિલ્હીમાં ચૂંટણી પંચ અનુસાર, સાંજના છ વાગ્યા સુધીમાં 65 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જો કે છ વાગ્યા પહેલાં જે લોકો મતદાન કેન્દ્રમાં આવી ગયા હતા તેમને મતદાનની મંજૂરી અપાઇ હતી.

2014માં વિધાનસભાની ચૂંટણીમાં 76.54 ટકા મતદાન થયું હતું. 2019ની લોકસભાની ચૂંટણીમાં 70.36 ટકા મતદાન થયેલું. ચૂંટણી પંચ અનુસાર,આ વખતે ચૂંટણીમાં 105 મહિલાઓ સહિત 1169 ઉમેદવારો મેદાનમાં હતા. મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વમાં ભાજપ ે75 બેઠકો જીતવાનો લક્ષ્ય રાખ્યો હતો. હાલમાં ભાજપની 48 બેઠકો છે.

હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી અનુરાગ અગ્રવાલે કહ્યું હતું કે 19578 મતદાન મથકો ઊભા કરાયા હતા જે પૈકી 13837 ગ્રામીણ વિસતારોમાં હતા. દરમિયાન મહારાષ્ટ્રમાંથી મળતા અહેવાલો અનુસાર, ભાજપ અને શિવસેનાએ યુતી બનાવી ચૂંટણી લડતાં ચૂંટણી એક તરફી જ બની ગઇ હતી.

રાજકારણ સાથે સંકળાયેલા પરંતુ ક્યારે પણ ચૂંટણી નહીં લડનાર ઠાકરે પરિવારમાંથી ઉદ્દવ ઠાકરેના 21 વર્ષિય પુત્ર આદિત્ય ઠાકરેએ વરલી વિધાનસભામાંથી ઉમેદવારી કરી હતી. સામે પક્ષે કોંગ્રેસ અને એનસીપીએ યુતી બનાવી હતી. જો કે એમઆઇએમ (મજલીસ)ના કારણે તેમના મતોમાં ગાબડાં પડી શકે છે.

મુખ્ય મંત્રી દેવેન્દર ફડણવીસના નેતૃત્વમાં ભાજપે સાથી પક્ષ શિવસેના કરતાં વધુ બેઠકો પર ચૂંટણી લડી હતી. કોંગ્રેસે 146 અને એનસીપીએ 117 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા.

મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે ત્રણ હજાર કરતાં વધુ ઉમેદવારો મેદાનમાં હતા. આ વખતે 235 મહિલાઓ સહિત 3237 ઉમેદવારો મેદાનમાં હતા. ચૂંટણી પંચે છ લાખ ઉપરાંત કર્મચારીઓને તૈનાત કર્યા હતા. 96661 મતદાન કેન્દ્રો ઊભા કરાયા હતા.

હરિયાણામાં મતદાન માટે કોઇ ગરબડ ઊભી ના થાય તે માટે 75000 સુરક્ષા કર્મીઓને તૈનાત કરાયા હતા, એમ ડીજીપી મનોજ યાદવાએ કહ્યું હતું. રાજ્યના 85 લાખ મહિલાઓ સહિત 1.83 કરોડ મતદારો મત માટે પાત્ર હતા. આમાં એક લાખ કરતાં પણ વધુ સર્વિસ અને 252 ટ્રાન્સજેન્ડરોનો સમાવેશ થતો હતો.

ભાજપનો મુકાબલો કોંગ્રેસ અને ઇન્ડિયન નેશનલ લોકદળ સામે હતો. ઉપરાંત જન નાયક જનતા પાર્ટીએ પણ ઉમેદવારો ઉતાર્યા હતા. ગઇ વખતે ભાજપને 48 અને કોંગ્રેસને 17 બેઠકો મળી હતી. ભાજપે મોદીના કરિશ્મા પર જ આધાર રાખી ચૂંટણી લડી છે. ઉપરાંત ભાજપના પ્રમુખ અમીત શાહે પણ ઝંઝાવાત પ્રવાસ કરીને પ્રચાર કર્યો હતો.

ખટ્ટર સાઇકલ પર સવાર થઇ મતદાન કરવા ગયા

રોહતક, તા. 21

હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે પણ મતદાન કર્યું હતું, તેઓ ટ્રેનમાં ચંડીગઢથી કર્નાલ સુધી અને ત્યાર બાદ ત્યાંથી સાઇકલ પર મત આપવા ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે લોકોની સાથે વાતચીત કરીને તેમના પ્રશ્નોને જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ખટ્ટર બાદમાં બાઇક પર સવાર થઇને મત આપવા ગયા હતા.

હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો પર મતદાન યોજાયું હતું. 65 વર્ષીય ખટ્ટરની સામે ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ પણ જોર લગાવ્યું હતું. દરમિયાન મતદાન અંગે વાત કરતા ખટ્ટરે જણાવ્યું હતું કે દરેક નાગરીકોએ મતદાન માટે જવુ જોઇએ. મતદાન લોકશાહીનો ઉત્સવ છે. જેમાં દરેકે ભાગીદાર થવું જોઇએ.

મહારાષ્ટ્રમાં હિંસાના છૂટાછવાયા બનાવ

મુંબઇ,તા.21

મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજ્યના વિવિધ સ્થળે હિંસાના બનાવ બન્યા હતા. અહમદનગરમાં ભાજપ અને એન.સી.પી.ના કાર્યકર્તા વચ્ચે અથડામણ થઈ હતી. બીડમાં એન.સી.પી. અને શિવસેનાના ઉમેદવાર કાર્યકર્તા વચ્ચે બોગસ મતદાન સંબંધે વિવાદ થયો હતો.

અમરાવતીમાં ઉમેદવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. જાલનામાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ઔરંગાબાદમાં એમ.આઈ.એમ. અને એન.સી.પી.ના કાર્યકર્તા એકબીજા પર હુમલો કરતાં તંગદીલી વ્યાપી હતી. પરંતુ પોલીસે તાબડતોબ પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.

પેટા ચૂંટણી : વિવિધ રાજ્યોની 51 બેઠકો પર મતદાન પૂર્ણ

સૌથી નીચુ મતદાન ઉ. પ્રદેશમાં 47.05 ટકા રહ્યું, નક્સલ પ્રભાવિત છત્તીસગઢમાં 74 ટકા મતદાન

નવી દિલ્હી, તા. 21

હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી સાથે જ અન્ય રાજ્યોમાં પેટા ચૂંટણી પણ યોજાઇ હતી. વિધાનસભાની 51 બેઠકો પર આ પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાં બે લોકસભાની બેઠકોનો પણ સમાવેશ થાય છે.

જે રાજ્યોમાં પેટા ચૂંટણી યોજાઇ છે તેના પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશમાં સૌથી નીચુ 47.05 ટકા મતદાન યોજાયું હતું અહીં આશરે 11 બેઠકો પર મતદાન યોજાયું છે. સહારનપુર જિલ્લાના ગાનગોહમાં સૌથી વધુ 60.30 ટકા મતદાન યોજાયું હતું. જ્યારે લખનઉ કેન્ટોનમેન્ટ વિધાનસભા બેઠક પર સૌથી નીચુ 28.53 ટકા મતદાન થયું છે.

જ્યારે બધી જ 51 બેઠકો પર નજર કરીએ તો સરેરાશ 56.84 ટકા મતદાન યોજાયું છે. આ આંકડા ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવ્યા હતા. કેરળમાં પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી, તેવી જ રીતે અરૂણાચલ પ્રદેશમાં આવેલી ખોન્સા પશ્ચિમ બેઠક પર 90 ટકા, છત્તીસગઢના નક્સલ પ્રભાવીત ચિત્રકોટમાં 74 ટકા, તેલંગાણાના હુઝુરનગરમાં 84 ટકા મતદાન યોજાયું હતું.

મધ્ય પ્રદેશના ઝાબુઆમાં 62 ટકા, મેઘાલયના શેલ્લામાં 84.56 ટકા મતદાન યોજાયું હતું. તેવી જ રીતે આસામની ચાર બેઠકો પર સરેરાશ 75.69 ટકા મતદાન યોજાયું હતું.

હિમાચલ પ્રદેશમાં સરેરાશ 70 ટકા મતદાન યોજાયું છે. પંજાબમાં ચાર બેઠકો પર મતદાન યોજાયું હતંુ. તેવી જ રીતે ગુજરાતમાં છ બેઠકો પર પણ શાંતિપૂર્વક રીતે મતદાન યોજાઇ ગયું છે. આ બધી જ બેઠકોના પરીણામો 24મી તારીખે જાહેર કરવામાં આવશે.

(Visited 33 times, 1 visits today)