ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO) ટૂંક સમયમાં જ ચંદ્રયાન-3ને ચંદ્રની તરફ રવાના કરી શકે છે. સૂત્રોના મતે તેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે અને નવેમ્બર 2020 સુધીની તેની સમયસીમા પણ નક્કી કરી દેવાઇ છે. આપને જણાવી દઇએ કે સપ્ટેમ્બરમાં ઇસરોએ ચંદ્રયાન-2ના લેન્ડરની ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગ કરવાની કોશિષ કરી હતી પરંતુ તેમાં સફળતા મળી શકી નહોતી. જો કે ઑર્બિટર કામ કરી રહ્યું છે અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એ સાત વર્ષ સુધી કામ કરતું રહેશે.
ઇસરોએ કેટલીય સમિતિઓ બનાવી છે અને પેનલની સાથે ત્રણ સબ કમિટીઓને ઑક્ટોબરથી લઇને અત્યાર સુધીમાં ત્રણ હાઇ લેવલ મીટિંગ થઇ ચૂકી છે. સૂત્રોના મતે આ મિશનમાં માત્ર લેન્ડર અને રોવર જ હશે. એટલે કે તેમાં ઑર્બિટર મોકલાશે નહીં કારણ કે ચંદ્રયાન-2નું ઑર્બિટર પહેલેથી જ ચંદ્રની ધરતીમાં હાજર છે. મંગળવારના રોજ ચંદ્રયાન-3 મિશન માટે ઓવરવ્યૂ કમિટીની બેઠક થઇ. તેમાં સબ કમિટીઓની ભલામણો પર ચર્ચા થઇ. સબ કમિટીઓએ સંચાલન શક્તિ, સેંસર, એન્જિનિયરિંગ અને નેવિગેશનને લઇ પોતાનો પ્રસ્તાવ આપ્યો છે.
એક વૈજ્ઞાનિકે કહ્યું કે ચંદ્રયાન-3નું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધી ઇસરો એ 10 મહત્વપૂર્ણ બિંદુઓનો ડ્રાફ્ટ ખેંચી દીધો છે. તેમાં લેન્ડિંગ સાઇટ, લોકલ નેવિગેશન સામેલ છે. સૂત્રોએ કહ્યું કે 5 ઑક્ટોબરના રોજ એક સત્તાવાર નોટિસ રજૂ કરાઇ છે. તેમાં કહ્યું છે કે એ જરૂરી છે કે ચંદ્રયાન-2ની એક્સપર્ટ કમિટી દ્વારા કરાયેલી ભલામણો પર ધ્યાન આપીને લેન્ડરમાં ફેરફાર કરવા અને તેમાં સુધારો કરવાની દિશામાં કામ કરવામાં આવે. એક બીજા વૈજ્ઞાનિકે કહ્યું કે નવા મિશનમાં લેન્ડરના લેગ્સ મજબૂત કરાશે જેથી ઝડપી ગતિથી ઉતરવા પર પણ તે ક્રેશ ના થાય. સૂત્રોએ કહ્યું કે ઇસરો નવા રોવર અને લેન્ડર બનાવા જઇ રહ્યું છે. તેમણે કહ્યું કે હજુ લેન્ડરના વજન અને તેમાં લગાવામાં આવેલા સાધનો અંગે ફાઇનલ ડિસીજન લીધું નથી.